ફકરો 2
વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહેતા હોય તેને નિવાસસ્થાન કહે છે . એક જ પ્રકારના નિવાસસ્થાનમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સાથે નિવાસ કરતાં હોય છે . ચોક્કસ પ્રકારનાં નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો ( ટેવો ) કે લક્ષણોને અનુકૂલન કહે છે . સામાન્ય રીતે નિવાસસ્થાનો વિવિધ પ્રકારના હોય છે , જેને મુખ્યત્વે ભૂ - નિવાસસ્થાન ( જમીન પરના ) અને જલીય નિવાસસ્થાન ( પાણીનાં ) એમ બે મોટાં જૂથમાં વહેંચી શકાય છે . વિવિધ નિવાસસ્થાનોમાં ખૂબ જ વિશાળ વૈવિધ્ય ધરાવતા સજીવો રહે છે . વનસ્પતિ , પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો મળીને જૈવિક ઘટકો બનાવે છે . ખડકો , માટી , હવા , પાણી , પ્રકાશ અને તાપમાન એ આપણી આજુબાજુનાં કેટલાંક અજૈવિક ઘટકો છે . સજીવો કેટલાંક સામાન્ય લક્ષણો ધરાવે છે , જેમકે , ખોરાકની જરૂરિયાત છે , તેઓ શ્વસન કરે છે , ઉત્સર્જન કરે છે , તેમના પર્યાવરણને પ્રતિભાવ આપે છે , પ્રજનન કરે છે , વિકસે છે અને હલનચલન પણ દર્શાવે છે .